ખાપટ ગામમાં સરપંચના પ્રતિનિધિની દાદાગીરી: પત્રકાર અને માસૂમ બાળકી પર જીવલેણ હુમલો, પત્રકારોમાં રોષ
ઉના,તા.11 મે: ઉના તાલુકાના ખાપટ ગામે સરપંચના પ્રતિનિધિ કાનાભાઈ બાંભણીયા અને તેમના મળતીયાઓ દ્વારા દિવ મિરર ન્યુઝના પત્રકાર હર્ષદભાઈ વાઢેર અને તેમની ૧ વર્ષની માસૂમ દીકરી પર જીવલેણ હુમલો કરવામાં આવતા પત્રકાર આલમમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ હુમલો ખાપટ ગામે સરકારશ્રીના નિયમોનું ઉલ્લંઘન કરીને માટી કાઢવામાં આવી રહી હોવાના સમાચાર પ્રકાશિત કરવા બાબતે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પત્રકાર હર્ષદભાઈ વાઢેર દ્વારા ખાપટ ગામમાં ગેરકાયદેસર રીતે માટી ખનન થઈ રહ્યું હોવાની માહિતી એકત્રિત કરીને તેના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ સમાચારથી ઉશ્કેરાયેલા સરપંચના પ્રતિનિધિ કાનાભાઈ બાંભણીયા અને તેમના મળતીયાઓએ પત્રકાર હર્ષદભાઈ વાઢેર અને તેમની ૧ વર્ષની દીકરી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પત્રકારને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાએ દેશમાં પત્રકારોની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પત્રકારો ઉપર થતાં હુમલાઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે દેશમાં પત્રકારો જ સુરક્ષિત નથી. આવા “પ્રતિનિધિ આખલાઓ”ને નાથવાની તાતી જરૂરિયાત છે, પરંતુ શું સુપ્રીમ કોર્ટના પરિપત્ર અનુસાર કડક કાર્યવાહી થશે કે પછી રાજકીય સત્તાધીશોના ઈશારે મામલાને દબાવી દેવામાં આવશે તે મોટો પ્રશ્ન છે.આ ઘટનાને પગલે પત્રકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કે હાઈકોર્ટના આદેશ મુજબ જો પત્રકાર પર ફરિયાદ થાય તો રાજ્યના ડી.જી.પી.ને તપાસ કરવી પડે છે, તો શું પત્રકાર હર્ષદ વાઢેર પર ફરિયાદ થાય તો રાજ્યના ડી.જી. તપાસ કરશે કે કેમ?જો પત્રકારો જ સુરક્ષિત ન હોય તો આમ જનતા કેટલી સુરક્ષિત હશે તે એક યક્ષપ્રશ્ન છે. આ ઘટના દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા કરે છે અને તાત્કાલિક ધોરણે પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત પગલાં લેવાય તે અત્યંત જરૂરી છે.