શહેર જિલ્લા પત્રકાર એન્ડ પ્રેસ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર: પત્રકાર અને તેમની પુત્રી પરના હુમલાની સખત શબ્દોમાં નિંદા
રાજકોટ: શહેર જિલ્લા પત્રકાર એન્ડ પ્રેસ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આજે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી (આઈએએસ) ને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પત્રકાર હર્ષદભાઈ વાઢેર અને તેમની માસુમ પુત્રી પર થયેલા હીચકારી હુમલાના સંદર્ભમાં આપવામાં આવ્યું હતું.એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ સમાચાર પ્રકાશિત કરવાના કારણે પત્રકાર પર થયેલો આ હુમલો લોકશાહીના ચોથા સ્તંભ પર પ્રહાર સમાન છે. આ ઘટના માત્ર એક પત્રકાર પરનો હુમલો નથી, પરંતુ સમગ્ર લોકતંત્ર પર કરવામાં આવેલો હુમલો છે, જેની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવે છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે, પત્રકાર હર્ષદભાઈ વાઢેર અને તેમની ફુલ જેવી માસુમ દીકરી પર થયેલો જીવલેણ હુમલો સમગ્ર પત્રકાર જગતમાં રોષનું કારણ બન્યો છે. ભ્રષ્ટાચારને ઉજાગર કરનાર પત્રકાર વિરુદ્ધ ખોટી ફરિયાદો કરીને કાયદાનો દુરુપયોગ કરનારાઓને કોઈપણ પ્રકારનું ખોટું પ્રોત્સાહન ન મળવું જોઈએ.
એસોસિએશને માંગણી કરી હતી કે, આ હુમલાખોરો પર તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે. આ સમગ્ર મામલે યોગ્ય અને તટસ્થ તપાસ કરવામાં આવે અને પત્રકારને યોગ્ય ન્યાય મળે તે માટે જિલ્લા કલેકટરશ્રી પોતાના માધ્યમથી સરકારશ્રીને આ બાબતે યોગ્ય નિવેદન કરે તેવી માંગણી કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં શહેર જિલ્લા પત્રકાર એન્ડ પ્રેસ ફોટોગ્રાફર એસોસિએશનના તમામ સભ્યોએ એકસૂરે આ હુમલાની નિંદા કરી હતી અને પત્રકાર હર્ષદભાઈ વાઢેર અને તેમના પરિવારને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી. એસોસિએશને એમ પણ જણાવ્યું હતું કે, તેઓ પત્રકારોની સુરક્ષા અને ન્યાય માટે હંમેશા અવાજ ઉઠાવતા રહેશે.