*સોમનાથ ખાતે રિજિયોનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપ યોજાયો*
*વિકસિત ભારત-૨૦૪૭ના પરિપ્રેક્ષ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દ્વારકા જિલ્લા રાજ્યના વિકાસમાં કેવી રીતે ઉપયોગી બની શકે તેનું મનોમંથન કરાયું*
*ચારેય જિલ્લાઓના કલેક્ટર્સ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓએ ક્ષેત્રિય વિકાસ માટેનો રોડમેપ રજૂ કર્યો*
—————
*ગીર સોમનાથ જિલ્લો મત્સ્યસંપદાના મૂલ્યવર્ધન સાથે ધાર્મિક અને નૈસર્ગિક પારંપરિક ચિકિત્સાના કેન્દ્ર તરીકે ઉભરવાનું સામર્થ્ય ધરાવે છે -કલેકટર શ્રી એન.વી ઉપાધ્યાય*
સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારના આર્થિક વિકાસ માટે પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવા ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (જી.આર.આઈ.ટી) દ્વારા સોમનાથ ખાતે રિજિયોનલ સ્ટેકહોલ્ડર્સનો કન્સલ્ટેશન વર્કશોપ યોજાયો હતો. જેમાં સાગરકાંઠાના ચાર જિલ્લા
જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના કલેકટરશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓએ સહભાગી થઈને ક્ષેત્રિય આર્થિક વિકાસનું મનોમંથન કર્યું હતું.
પ્રગતિશીલ, સશક્ત, સમૃદ્ધ અને ટકાઉ ભારતનું નિર્માણ કરવા માટે વિકસિત ભારતના વિઝન-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ પોતાની પાસે રહેલી ક્ષમતાઓનો વિસ્તાર કરીને ગુજરાતના વિકાસમાં કઈ રીતે મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તેનું મનોમંથન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી એન.વી ઉપાધ્યાયે સૌને આવકારી જણાવ્યું હતું કે,ગીર સોમનાથ જિલ્લો મત્સ્યસંપદાના મૂલ્યવર્ધન સાથે ધાર્મિક અને નૈસર્ગિક પારંપરિક ચિકિત્સાના કેન્દ્ર તરીકે ઉભરવાનું સામર્થ્ય ધરાવે છે. જરૂર છે માત્ર આ દિશામાં વિચાર કરી આગળ વધવાની.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગીર સોમનાથ જિલ્લો એ મત્સ્યોદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે. વેરાવળમાં આશરે ૧૦૦થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. આ કોલ્ડ સ્ટોરેજ સહિત માછીમારીના ઉદ્યોગમાં ૯૭ હજારથી વધુ મહિલાઓ જોડાયેલી છે. જિલ્લાનો મત્સ્યોદ્યોગનો બિઝનેસ ૭ હજાર કરોડનો છે.
તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, જિલ્લામાં એવું કહેવાય છે કે, જો માછીમારીની સિઝન સારી તો જિલ્લામાં તેજી અને માછીમારીના ધંધામાં જો મંદી તો જિલ્લામાં પણ મંદી જોવા મળે છે. પરંતુ કોલ્ડ સ્ટોરેજની ચેઈન ડેવલપ કરીને, મત્સ્યોદ્યોગમાં મૂલ્યવર્ધન કરીને, તેજી-મંદીનો માહોલ સર્જાય જ નહીં તે પ્રકારનું વાતાવરણ ઊભું કરીને ક્ષેત્રિય આર્થિક વિકાસને ચોક્કસ નવો આયામ આપી શકાશે. તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ગીર સોમનાથ જિલ્લો કેરી અને નાળિયેરીના ઉત્પાદનમાં અગ્રેસર છે. કેસર કેરીને જી.આઈ.ટેગિંગ પણ મળેલું છે. જિલ્લાની કેસર કેરીને મળેલા જી.આઈ.ટેગીંગનું મિકેનિઝમ વિકસે અને તેનું યોગ્ય માર્કેટિંગ કરી એક્સપોર્ટ થાય તેમજ કેરીનો પલ્પ ચાર મહિનાની જગ્યાએ વધુ સમય સુધી જળવાય તે માટેના વૈજ્ઞાનિક કદમો લઈને કેરી અને કેરીના રસને વિદેશ સુધી પહોંચાડી શકાય તેવા ચેઈનનિર્માણની જરૂરિયાત વર્ણવી હતી.
આ ઉપરાંત, તેમણે નારિયેળી અને નારિયેળીના છેલ્લામાં છેલ્લા વધેલા ભાગોનો વધુ સારી રીતે ઉપયોગ કરીને તેની ઉપયોગીતા વધારી આર્થિક વૃદ્ધિ માટે ઉપયોગ કરી શકાય તે દિશામાં આગળ વધવાની જરૂરિયાત પણ તેમણે વર્ણવી હતી.
કલેક્ટરશ્રીએ તુલસીશ્યામમાં ગરમ પાણીના ઝરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, તુલસીશ્યામમાં પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસવાની અપાર તકો છે. જ્યાં ભાલકા, પ્રાચી, ઉના, તુલસીશ્યામ એક પ્રવાસન સર્કિટ તરીકે વિકસી શકે.
નૈસર્ગિક ઉપચારનો ઉલ્લેખ કરતાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જંગલની મધ્યમાં આવેલા રિસોર્ટ ચોમાસામાં બીનઉપયોગી બની જાય છે, તેવા સમયે આ રિસોર્ટમાં થોડો બદલાવ કરીને નૈસર્ગિક ઉપચાર પદ્ધતિના ઉત્તમ કેન્દ્ર બની શકે તેવી ક્ષમતા ધરાવે છે.
તેમણે જિલ્લાના માઢવાડ, છારા અને નવાબંદરમાં બંદરની સુવિધા વિકસતા એક્સપોર્ટની અપાર તકો ઉભી થશે તેનો કઈ રીતે વધુને વધુ લાભ લઈ શકાય તેનું મનોમંથન રજૂ કર્યું હતું.
પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ.જે.પ્રજાપતિએ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીને લક્ષ્યમાં રાખી એક સરખી પ્રકૃતિ અને લાક્ષણિકતા ધરાવતા જિલ્લામાં આર્થિક વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે તેમજ પોરબંદર બે તીર્થ ક્ષેત્રોની વચ્ચે આવેલું છે ત્યારે બરડા સેન્ચ્યુરીમાં સિંહદર્શન, જાંબવતની ગુફાઓ, મોકરસાગર ખાતે બર્ડ સેન્ચ્યુરી, સુદામા મંદિર, બરડા ડુંગર, વૅટલેન્ડ એરિયા, દરિયાકિનારે ક્રૂઝ ચાલુ કરવા જેવી સુવિધાઓ સહિત પોરબંદરમાં આવેલા વિવિધ ફરવાના સ્થળોના વિકાસ સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
જૂનાગઢ કમિશનર શ્રી ડૉ. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, આપણો વિસ્તાર વધુ પ્રવાસન સ્થળ ધરાવતો વિસ્તાર છે. અહીં સૌથી મોટી તક પ્રવાસન ક્ષેત્રમાં રહેલી છે. જૂનાગઢ એ ઐતિહાસિક વારસો ધરાવતું સ્થળ છે.
ઈસ્લામિક, ઈન્ડોગોથિક વગેરે જેવા હાઇબ્રીડ સ્ટ્રક્ચરથી આર્કિટેક્ચરલ તેમજ ધાર્મિક ટૂરીઝમ સાથે આર્કિયોલોજીકલ રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ગીરના જંગલમાં ૪૦૦થી વધુ ઔષધીય વનસ્પતિઓ રહેલી છે. જેને પ્રકૃતિ સાથે જોડીને નેચરોપથીને ધ્યાનમાં રાખી સાંસ્કૃતિક કેન્દ્ર અને પ્રાકૃતિક ચિકિત્સાનું કેન્દ્ર વિકસાવી શકાય તેનું પથદર્શન રજૂ કર્યું હતું.
કમિશનરશ્રીએ નારિયેળ, મગફળી, કેરીના ઉત્પાદનમાં અગ્રેસર છે ત્યારે તેના રિસર્ચ સેન્ટર ઊભા થાય તે જરૂરી છે એવું જણાવી અને એક જિલ્લાની શક્તિ બીજા જિલ્લા માટે ઉપયોગી બને અને ક્ષેત્રીય વિકાસ સાધી શકાય તે માટે ગ્રીટ દ્વારા આયોજિત આ સેમિનાર ઉપયોગી બની રહેશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
દેવભૂમિ દ્વારકાના કલેક્ટર શ્રી આર.એમ.તન્નાએ જણાવ્યું હતું કે, મીઠાના ઉત્પાદન, બંદર અને પ્રવાસન ક્ષેત્રે દ્વારકામાં અપાર તકો રહેલી છે. પ્રવાસન ઉપરાંત રેલ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી, કેનાલ નેટવર્ક, એગ્રો પ્રોસેસિંગ યુનિટનો વિકાસ કરીને ક્ષેત્રિય આર્થિક વિકાસમાં કઈ રીતે યોગદાન આપી શકાય કઈ રીતે યોગદાન આપી શકાય તેનું વિચારદર્શન રજૂ કર્યું હતું.
પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશીએ ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશનના હેતુઓ અને કાર્યશૈલીથી ઉપસ્થિત સર્વેને માહિતગાર કરી વર્કશોપની રૂપરેખા જણાવી હતી.
ગ્રીટના રોહન ગૌર દ્વારા આર્થિક વિકાસની નીતિ, ભૌતિક માળખાકિય સુવિધાઓ, પર્યાવરણ અને નૈસર્ગિક સંપદા, સામાજિક-આર્થિક વિકાસ અંગે ભવિષ્યમાં કઈ રીતે આગળ વધી શકાય અને તેમાં આવનાર પડકારો અને ઉકેલ અંગેનું દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
ચારેય જિલ્લામાંથી ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓએ ગ્રુપમાં વહેંચાઈને ક્ષત્રિય આર્થિક વિકાસ માટે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
આ વર્કશોપમાં નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ આલ સહિત અલગ અલગ ઉદ્યોગો, ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડિયન રેડક્રોસ, સરકારી સંસ્થા, ઉદ્યોગ સંગઠનો અને અન્ય મુખ્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓએ દરિયાઈ વિસ્તારના વિકાસ માટે મનોમંથન કર્યુ હતું.
અહેવાલ = રમેશભાઈ વંશ