>
Friday, June 6, 2025

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫: જસાધાર ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું ભગીરથ અભિયાન

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫: જસાધાર ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું ભગીરથ અભિયાન

 

જસાધાર, તા. ૦૫ જૂન, ૨૦૨૫: આજે વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ નિમિત્તે ગીર (પૂર્વ) વન વિભાગ, ધારી હેઠળની જસાધાર રેન્જના કાર્યક્ષેત્રમાં આવેલા જસાધાર ફોરેસ્ટ સેટલમેન્ટ ગામમાં “પ્લાસ્ટિક મુક્ત જસાધાર અભિયાન” હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જસાધાર ગામને પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કરીને સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણનું નિર્માણ કરવાનો છે.

નાયબ વન સંરક્ષકશ્રી, ધારી, શ્રી વિકાસ યાદવ સાહેબના સઘન માર્ગદર્શન હેઠળ, જસાધારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એલ.બી. ભરવાડ અને તેમના સ્ટાફ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જસાધાર રેન્જના સ્ટાફ ઉપરાંત, ટ્રેકર્સ, શ્રમયોગીઓ, રોજમદારો અને ખાસ કરીને જસાધાર ગામના મોટાભાગના યુવાનો તેમજ ગ્રામ્યજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સવારે સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગામમાંથી ઠેર ઠેર પડેલા પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી એલ.બી. ભરવાડ દ્વારા ગ્રામ્યજનોને પ્લાસ્ટિક કચરાથી થતી ગંભીર અસરો વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક કચરો ખેતીવાડી, માલઢોર અને ગામના જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, તે વન્યજીવો અને જમીનમાં પાણી ઉતરતું અટકાવી જળસંચયની પ્રક્રિયાને પણ અવરોધે છે. નદી-નાળા અને વોકળા મારફતે વહીને આ કચરો જળચર જીવોને પણ હાની પહોંચાડે છે, જે ઇકોસિસ્ટમ માટે મોટો ખતરો છે.

આ વિગતવાર સમજૂતી બાદ, સર્વે ગ્રામ્યજનોને પ્લાસ્ટિક કચરો જ્યાં ત્યાં ન ફેંકવા, અન્ય કોઈને પણ તેમ કરતા અટકાવવા, અને ઘરે ઘરે પ્લાસ્ટિક કચરાને અલગ અલગ રાખીને તેનો સલામત જગ્યાએ નિકાલ કરવા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. સર્વે ઉપસ્થિતોએ જસાધાર ગામને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.”પ્લાસ્ટિક મુક્ત જસાધાર અભિયાન” અંતર્ગત પ્લાસ્ટિક સફાઈ ઉપરાંત, જસાધાર ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને અનેક વૃક્ષો રોપવામાં આવ્યા હતા.આ પ્રકારના જનભાગીદારીભર્યા અભિયાનથી જસાધાર ગામ ચોક્કસપણે પ્લાસ્ટિક મુક્ત બનશે અને પર્યાવરણ સંરક્ષણ દિશામાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ અભિયાન ભવિષ્યમાં અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

 

બ્યુરો રિપોર્ટ ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores