બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ થવાની
શક્યતા: પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલનું નિવેદન, મોટાભાગની સીટો પર સર્વસંમતિથી ડિરેક્ટર ચૂંટાશે.
બનાસ ડેરીની આગામી ચૂંટણીમાં નિયામક મંડળ બિનહરીફ બનવાની શક્યતા વધી છે. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે, મોટાભાગની સીટો પર સર્વસંમતિથી ડિરેક્ટર ચૂંટાશે. આ નિવેદનથી પશુપાલકોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. થરાદ તાલુકાના ગામોમાં શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલની સંયુક્ત હાજરી જોવા મળી રહી છે. આ બાબત થરાદ સીટ પર બિનહરીફ ચૂંટણીના સંકેત આપે છે. બંને નેતાઓ એકબીજાના કાર્યોની પ્રશંસા કરી રહ્યા છે.
શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીએ છેલ્લા દસ વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. દૂધ ઉત્પાદકોને આપવામાં આવતી વધારાની સહાય અને નવી યોજનાઓએ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. આ કારણે મતદારોમાં સકારાત્મક માહોલ છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વ પ્રત્યે લોકોમાં વિશ્વાસ જોવા મળી રહ્યો છે. સમરસતાના વાતાવરણને કારણે આ વખતની ચૂંટણી બિનહરીફ થવાની સંભાવના વધી છે.
રીપોર્ટ પરબત દેસાઈ પાલનપુર