શ્રી ભાખા સેવા સહકારી મંડળીના મંત્રી શ્રી ભરતભાઈ ઠાકરનો 50 વર્ષની સેવા બાદ વિદાય સમારંભ યોજાયો
ગીરગઢડા: ગીરગઢડા તાલુકાના ભાખા ગામે આવેલી શ્રી ભાખા સેવા સહકારી મંડળી ના મંત્રી શ્રી ભરતભાઈ એમ. ઠાકર 50 વર્ષની લાંબી સેવા બાદ નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગીરગઢડા અને ઉના તાલુકાના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, મંડળીના સભ્યો, ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.મંડળીના પ્રમુખે ભરતભાઈની 50 વર્ષની અથાક મહેનત અને નિષ્ઠાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભરતભાઈએ મંત્રી તરીકેની ફરજને માત્ર નોકરી નહીં, પરંતુ એક સેવા ગણીને નિભાવી છે અને તેમના કાર્યકાળ દરમિયાન મંડળીનો સતત વિકાસ થયો છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પણ ભરતભાઈના યોગદાનની સરાહના કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ભરતભાઈએ સહકારી પ્રવૃત્તિઓને સાચા અર્થમાં જીવંત રાખી છે અને સ્થાનિક ખેડૂતોના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
મંડળી દ્વારા ભરતભાઈને શાલ ઓઢાડી, સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન બાદ, ભરતભાઈએ ભાવુક પ્રવચન આપતાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને મંડળીની ભવિષ્યની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ વિદાય સમારંભ એક યાદગાર અને ભાવનાત્મક પ્રસંગ બની રહ્યો હતો.
રિપોર્ટર ધર્મેશ ચાવડા