શક્તિપીઠ અંબાજી ખાતે ૩૪ મી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનો ભવ્ય શુભારંભ કરાયો
અંબાજીમાં રાજ્યભરના ૭૦૦થી વધુ ઋષિકુમારો શાસ્ત્રીય સ્પર્ધામાં જોડાયા
ઋષિકુમારો જ્યોતિષ, વ્યાકરણ, આયુર્વેદ, સાહિત્ય, ભગવદ્ ગીતા પાઠ, ભારતીય ગણિત, ઉપનિષદ અને વેદ સહિત ૩૮થી વધુ શાસ્ત્રીય વિષયોમાં ભાગ લેશે

શક્તિપીઠ અંબાજી ખાતે આજ રોજ માગશર વદ -૧૦, રવિવારના રોજ કમિશ્નરશ્રી શાળાઓની કચેરી ગાંધીનગર, શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અમદાવાદ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સંયુક્ત ઉપક્રમે ૩૪મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો.
સંસ્કૃત અને સંસ્કૃતિ ભારતની ઐતિહાસિક ધરોહર છે અને જ્ઞાન આધારિત આ સંસ્કૃતિ વેદ, શાસ્ત્રો, ઉપનિષદો અને શાસ્ત્રીય ગ્રંથોમાં સમાયેલી છે. આ ઉદ્દેશને આગળ ધપાવવા માટે રાજ્યભરની સંસ્કૃત પાઠ શાળાઓના ૭૦૦થી વધુ ઋષિકુમારો જ્યોતિષ, વ્યાકરણ, આયુર્વેદ, સાહિત્ય, ભગવદ્ ગીતા પાઠ, ભારતીય ગણિત, ઉપનિષદ અને વેદ સહિત ૩૮થી વધુ શાસ્ત્રીય વિષયોમાં ભાગ લઈ રહ્યા છે.

તા. ૧૪ થી ૧૭ ડિસેમ્બર સુધી યોજાનાર આ રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા દરમિયાન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ ઋષિકુમારો માટે આવાસ- નિવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તથા વિશ્વ કલ્યાણના હેતુથી અંબાજી મંદિરની યજ્ઞશાળામાં સહસ્ત્ર ચંડી અને શ્રી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે અંબાજી વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી, સંસ્કૃત પાઠશાળાના નિરીક્ષક શ્રી વસંતરાય તેરૈયા, સંસ્કૃત મહાવિદ્યાલય અધ્યાપક મંડળના પ્રમુખશ્રી ડૉ. મનોજગિરીજી, સ્પર્ધાના સંયોજકશ્રી અમૃતલાલ, વ્યવસ્થાપકશ્રી ગોવિંદભાઈ, વિશ્વ કલ્યાણ સેવા મંડળનાશ્રી પીનાકીનભાઈ જાની તેમજ સ્થાનીય સંયોજક અને શ્રી અંબિકા સંસ્કૃત મહા વિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી હિંમતભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ બનાસકાંઠા
મો ન 9998340891


