વલસાડ જિલ્લા પોલીસની કાર્યવાહી:વિવિધ 15 કેસોમાં જપ્ત કરાયેલા 2500 કિલોથી વધુ NDPSના મુદ્દામાલનો અંકલેશ્વરમાં નાશ કરાયો.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી) વલસાડ જિલ્લા પોલીસે આજે અંકલેશ્વર ખાતે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી. જિલ્લામાં વિવિધ 15 કેસોમાં જપ્ત કરાયેલા 2500 કિલોથી વધુ NDPSના મુદ્દામાલનો કોર્ટની મંજૂરી બાદ નાશ કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલની કિંમત અંદાજે રૂ. 1.10 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે.
વલસાડના SP ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ થયેલી આ કાર્યવાહીમાં વલસાડ અને વાપી DySP સહિત અન્ય સક્ષમ અધિકારીઓ અને પંચો હાજર રહ્યા હતા. નાશ કરાયેલા મુદ્દામાલમાં પોષડોડા, ગાંજો અને MD ડ્રગ્સનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં ત્રણ વખત NDPSના કેસમાં જપ્ત કરાયેલા મુદ્દામાલનો નાશ કર્યો છે. કુલ મળીને 40 જેટલા કેસોમાંથી જપ્ત કરાયેલા ગાંજા, પોષડોડા અને MD ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયા કોર્ટના આદેશ બાદ અંકલેશ્વરની એક કંપનીમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.