વડાલી મામલતદારે ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી 20 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો
વડાલી મામલતદારે ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરી
વડાલી તાલુકાના મહોર અને ફુદેડા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનો અંત લાવવા મામલતદાર હર્ષવર્ધન પરમારે ફિલ્મી ઢબે છાપો મારી ખનીજ માફિયાઓમાં ધમાલ મચાવી દીધી છે. ખનીજ માફિયાઓના દબદબાને પડકારતા મામલતદારે બુધવારે વહેલી સવારે ગુપ્ત રેડમાં પાંચ રેતી ભરેલા ટ્રેક્ટરો ઝડપી અંદાજે ૧૫ થી ૨૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાદમાં સમગ્ર મુદ્દો ખાણ અને ખનીજ વિભાગને સોંપી કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મહોર અને ફુદેડા વિસ્તારમાં રાત-દિવસ ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું. આ ખનનથી કુદરતી સંપત્તિને ભારે નુકસાન થતું હોવા છતાં તંત્રની આંખ સામે માફિયાઓ બેફામ રીતે રેતીની લૂંટ ચલાવી રહ્યા હતા. આ અંગે મહોર તથા ફુદેડાના સરપંચોએ મામલતદાર હર્ષવર્ધન પરમારને લેખિત રજૂઆત કરી હતી.
આ રજૂઆત બાદ મામલતદારે બે વખત સરકારી વાહનમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ ખનીજ માફિયાઓ અગાઉથી સતર્ક થઈ જતા બન્ને પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જોકે તંત્રની નિષ્ફળતાનો પડકાર સ્વીકારી મામલતદાર બુધવારે સવારે ૮.૩૦ કલાકે સાહસિક અને ગુપ્ત અભિયાન હાથ ધરી બે ખાનગી વાહનોમાં પોતાની ટીમ સાથે મહોર પાટિયાથી બાબસર-ઘરોઈ રોડ વિસ્તાર સુધી અચાનક ફિલ્મી ઢબે છાપો માર્યો હતો.
આકસ્મિક રેડ દરમિયાન સ્થળ પરથી રેતી ભરેલા પાંચ ટ્રેક્ટર રંગેહાથ ઝડપાયા, જેમાંથી ત્રણ ટ્રેક્ટર નંબર પ્લેટ વિના હોવાનું બહાર આવ્યું હતું. આ ટ્રેક્ટરોની તપાસ દરમિયાન ચાલકો કોઈ રોયલ્ટી કે કાયદેસર પાસના દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા, જેનાથી ખનન ચોરીના કૌભાંડનો સ્પષ્ટ સંકેત મળ્યો હતો.
મામલતદારે તાત્કાલિક પગલા તરીકે અંદાજે ₹૧૫ થી ₹૨૦ લાખની કિંમતના પાંચેય ટ્રેક્ટરો જપ્ત કરી મામલતદાર કચેરી ખાતે લાવવા આદેશ આપ્યો હતો. બાદમાં સમગ્ર કેસની નોંધ કરી ખાણ અને ખનીજ વિભાગને સોંપણી કરવામાં આવી હતી. ખાણખનીજ વિભાગે વિલંબ કર્યા વિના પંચનામું તૈયાર કરી ટ્રેક્ટરોની જપ્તી તથા સંડોવાયેલા ખનનકર્તાઓ સામે કાયદેસર કાર્યવાહીનો દોર શરૂ કર્યો છે.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 163987
Views Today : 