*સરખડી થી બાવાના પીપળવા અને નેશનલ હાઈવેને જોડતાં રસ્તાનું ખાતમુહૂર્ત કરતાં શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા*
——————
*રૂ. ૫.૮૨ કરોડના ખર્ચે તૈયાર થનાર રસ્તાથી ગ્રામજનોનું પરિવહન સરળ બનશે*
——————
*સરખડીમાં મંત્રીશ્રીના પૈતૃક ઘરમાં નિર્માણ પામેલી ‘માયાભાઈ માસ્તર’ લાઈબ્રેરીનું લોકાર્પણ*

શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે પૂર્વ સાંસદ શ્રી દીનુભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. ૫.૮૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી થી બાવાના પીપળવા અને નેશનલ હાઈવેને જોડતા રસ્તાનું (નોન પ્લાન રોડ) ખાતમુહૂર્ત અને સરખડી ખાતે મંત્રીશ્રીના પૈતૃક ઘરમાં નિર્માણ પામેલી ‘માયાભાઈ માસ્તર’ લાઈબ્રેરીનું લોકાર્પણ થયું હતું.

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાને ધ્યાને લઈ હવે રસ્તાનું આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાનું છેવાડાનું આ ગામ હવે સીધું જ ભાવનગર-વેરાવળ નેશનલ હાઈવે સાથે જોડાશે. જેથી ગ્રામજનો માટે પરિવહન સુવિધા એકદમ સુગમ બનશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિચાર છે કે, જો ગામડાનો વિકાસ થશે તો જ દેશનો ખરા અર્થમાં વિકાસ થશે. ‘વિકસિત ભારત’ના મંત્રને સાકાર કરવા માટે ગામડાઓનો વિકાસ જરૂરી છે. એમ જણાવી મંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તારના કામોમાં ગતિશીલતા આવે અને ‘વિકસિત ભારત’ના મંત્રને સાકાર કરવા સરખડીના ગ્રામજનો પણ સહયોગ આપે એવો અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીના પૈતૃક ઘરમાં પુસ્તકાલય નિર્માણ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પુસ્તકાલયનો વિચાર મહેશભાઈ વાળાને આવ્યો હતો. આ સદવિચાર આવતા જ રાતોરાત પૈતૃક ઘરનું લાઇબ્રેરી નિર્માણ તરીકે કાયાકલ્પ કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ આ કાર્યમાં શ્રમદાન કરનાર તમામનો આભાર વ્યક્ત કરવા સાથે જ સરખડી સાથેના પોતાના શૈશવ કાળના સંસ્મરણો પણ વાગોળ્યા હતાં.
પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીએ આ અવસરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોને વિકસાવવા માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં જે સડક યોજનામાં કામ થવા જોઈએ એને વેગ મળી રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓને પરિવહન સુવિધામાં વધારો થાય એ હેતુસર આવી સડકનું નિર્માણ કરવામાં આવે છે. જેમાં તમામ ગ્રામજનો સહયોગ આપે એ જરૂરી છે.
સરખડીમાં ‘માયાભાઈ માસ્તર’ લાઈબ્રેરીના લોકાર્પણ સમયે વડીલ શ્રી બાલુભાઈ વાઘેલાએ મંત્રીશ્રીના દિવંગત દાદા શ્રી માયાભાઈ વાજાની શિક્ષક તરીકેની વિશેષ કારકિર્દી તેમજ શિક્ષણપ્રિય મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ સાથેના સંસ્મરણો સાથેનું જીવન-કવન ઉપસ્થિત સર્વ સમક્ષ રજૂ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, આ લાઈબ્રેરીમાં હાલ આશરે ૭૦૦ થી ૮૦૦ પુસ્તકો વાંચન માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. જેનો લાભ સરખડી તેમજ આસપાસના ગામના રહેવાસીઓ અને વિદ્યાર્થીઓને મળશે.
આ તકે, મંત્રીશ્રીના પરિવારના સભ્યો, જનપ્રતિનિધિશ્રીઓ અને હોદ્દેદારો, સરખડી અને આસપાસના ગ્રામજનો, કોડીનાર તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના






Total Users : 155080
Views Today : 