>
Saturday, May 17, 2025

થરાદ નર્મદા કેનાલ માંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

થરાદ તાલુકાના ગડશિસર વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ કેનાલમાં તરતા મૃતદેહની જાણ થરાદ ફાયર વિભાગને કરતાં ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. એક અનુમાન મુજબ બાળકના મૃતદેહને જોતાં લાગી રહ્યું છે કે હોસ્પિટલમાં જન્મ બાદ તેને ફેંકી દીધું હોય.

 

મળતી માહિતી મુજબ, થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે એક નવજાત શિશુનો મૃતદેહ તરી રહ્યો હતો, જેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક થરાદ ફાયર ટીમને જાણ કરી હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી નવજાત શિશુના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. થરાદ પોલીસને જાણ કર્યા બાદ નવજાત શિશુના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે લોકોમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.

 

 

થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આજે થરાદના ગડશિસર માયનોર કેનાલ, જે રાણપુર અને આત્રોલ વચ્ચે પસાર થાય છે. રાણપુર પુલ નજીક પસાર થતી આ નર્મદા કેનાલમાં નવજાત શિશુની ડેડબોડી તરતી હોવાનો કોલ અમને સવારે 6:10 મિનિટે કોઈ અજાણી વ્યક્તિએ કર્યો હતો, જેથી અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ડેડબોડીને કેનાલ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. હાલ ડેડબોડીને થરાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ડિલિવરી થાય ત્યારે જે કોડ કલમ લગાવવામાં આવે એવી જ પટ્ટી આ બાળકના મૃતદેહ પર હતી, જેથી કહી શકાય કે આ બાળકનો જન્મ પણ હોસ્પિટલમાં જ થયો હોવો જોઇએ.

 

 

ઉલ્લેખનીય છે કે કેનાલમાં મળી આવેલા શિશુના મૃતદેહ પર હોસ્પિટલમાં જન્મ થયો હોય એવી ગર્ભનાળની પટ્ટી હતી, જેથી એવું લાગી રહ્યું છે કે ડિલિવરી હોસ્પિટલમાં જ થઇ છે, જે પછી કોઇએ પોતાનું પાપ છુપાવવા માટે માસૂમને ત્યજ્યું હોય એવી આશંકા છે. શું નવજાત શિશુને નિર્દય માતાપિતાએ ત્યજી દીધું હતું, આ બાળક કેનાલમાં ક્યાંથી આવ્યું, એને ત્યજી દેવાનું કારણ શું? જેવા અનેક સવાલો લોકોના મનમાં ઊભા થવા લાગ્યા છે, સાથે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે એવી માગ પણ ઊઠવા પામી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores