દારૂબંધીના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ઉનામાં રસ્તા રોકી સરકાર સામે સૂત્રોચ્ચાર
ઉના–ગીરગઢડા સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં કથિત બેફામ દારૂના વેચાણ અને ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ઉના–ગીરગઢડા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા કાર્યકરો દ્વારા ઉના પ્રાંત અધિકારી અને ઉના પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઉના અને ગીરગઢડા તાલુકામાં દેશી તથા ઈંગ્લિશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. તેમજ ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે પણ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.આ વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર બેસી જતા થોડા સમય માટે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
ઉના પોલીસે સ્થળ પર પહોંચી કાર્યકરોને રસ્તા પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી હતી. વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાઈ હતી.કોંગ્રેસે ભાવનગર લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની, ગેરકાયદેસર દારૂના વેચાણ પર તાત્કાલિક રોક લગાવવાની તેમજ રાજ્યના ગૃહમંત્રીએ લઠ્ઠાકાંડની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની માંગ કરી હતી.કોંગ્રેસ કાર્યકરોએ પોલીસની કામગીરી સામે પણ આક્ષેપો કર્યા હતા અને પોલીસની મિલીભગતથી દારૂ તથા ડ્રગ્સનો કથિત કાળો કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, આક્ષેપો અંગે પોલીસ અથવા સંબંધિત તંત્રનો પક્ષ જાણવા મળ્યો નથી.
રિપોર્ટર ધર્મેશ ચાવડા


