>
Saturday, May 17, 2025

વડાલી સામૂહિક આપઘાત કેસ..

વડાલી સામૂહિક આપઘાત કેસ..

 

ઘટનાના 19 દિવસ બાદ સારવાર હેઠળ રહેલી દીકરીનું મોત થયું

 

વડાલી વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ 12 એપ્રિલે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન માતા-પિતા અને બે જુડવા ભાઈના મોત બાદ વડાલી પોલીસે બે સામે ફરિયાદ નોંધી હતી.જેમાં એકની અટકાયત કરી હતી. તો મુખ્ય ફરાર આરોપીને બે દિવસ આગાઉ ઈડર સેશન્સ કોર્ટે આગોતરા જામીન મંજૂર કરતાં લોકોમાં અનેક તર્ક વિતર્ક વચ્ચે ગુરુવારે 19 દિવસની સારવાર બાદ પરિવારમાંથી બચેલ એક માત્ર દીકરી ક્રિષ્નાબેન સગરે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

 

વડાલીના ચોકલી વિસ્તારમાં રહેતા સગર વિનુભાઈ મોહનભાઈ અને તેમની પત્ની કોકિલાબેન અને ત્રણ બાળકોએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતાં જેમને સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે 12 એપ્રિલ શનિવારે સાંજે પરિવારના મોભી વિનુભાઈ સગરે અંતિમ શ્વાસ લીધા હતા. જેની મોડી રાત્રે તેમની પત્ની કોકિલાબેનનું પણ મોત થયું હતું. ત્યારે બંનેના મૃતદેહને પીએમ કરી પરિવારને સોંપ્યા હતા. બાદમાં તેમના જુડવા બે દીકરા નિરવ અને નરેન્દ્રએ પણ રવિવારે રાત્રે દમ તોડી દીધો હતો. ત્યારે બંનેના મૃતદેહને વડાલી લાવી પરિવારજનો દ્વારા અંતિમવિધિ કરાઈ હતી. ત્યારબાદ વડાલી પોલીસે બે સામે ફરિયાદ નોંધી હતી. જેમાં વડાલી તાલુકાના હાથરવાના ભદ્રરાજસિંહ ચૌહાણની વડાલી પોલીસે અટકાયત કરી હતી અને વડાલી તાલુકા વડગામડાના મુખ્ય ફરાર આરોપી અંકિત નારાયણભાઈ પટેલની બે દિવસ અગાઉ ઈડરની સેશન્સ કોર્ટે આગોતરા જામીન મંજૂર કરતાં વડાલીમાં લોકોની અંદર અનેક તર્ક વિતર્કોની વચ્ચે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં 19 દિવસની સારવાર બાદ ક્રિષ્નાબેન ઉર્ફે ભૂમિકાબેન વિનુભાઈ સગરનું ગુરુવારે મોત નિપજ્યું હતું. ત્યારે વડાલીમાં ચર્ચાએ જોર પકડ્યું હતું કે પાંચ લોકોના જીવ ગુમાવનારી હૃદય દ્રાવક ઘટનાના મુખ્ય આરોપીને ઈડરની સેશન્સ કોર્ટે આગોતરા જામીન મંજૂર કરી દેતાં વ્યાજખોરોને મોકળું મેદાન અપાઈ રહ્યું છે.

 

તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores