ખેડબ્રહ્માના કલ્લેખા ગામમાં રેતીની લીઝ બાબતે મારામારી..
વિવાદમાં આધેડ ખેડૂત પર ત્રણ શખ્સોનો જાનલેવા હુમલો: ત્રણ સામે ફરિયાદ નોંધાઇ
ખેડબ્રહ્મા તાલુકાના કલ્લેકા ગામની સીમમાં રસ્તાના નજીવા વિવાદને લઈને એક આધેડ ખેડૂત પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. કલ્લેકા ગામે રહેતા ૫૯ વર્ષીય રામજીભાઈ ગણેશભાઈ રબારી પર વડાલી તાલુકાના ત્રણ શખ્સોએ લાકડીઓ અને ગડદાપાટુનો બેરહેમ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે ભોગ બનનાર ખેડૂતે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.
રેતીના ડમ્પર પ્રસાર કરવા બાબતે થઈ હતી બોલાચાલી
મળતી માહિતી મુજબ, ફરિયાદી રામજીભાઈ સાબરમતી નદીના પટમાં આવેલી પોતાની ઓફિસે હાજર હતા. તે દરમિયાન ત્યાંથી રેતીનું ડમ્પર પસાર કરવા બાબતે બોલાચાલી થઈ હતી. ફરિયાદીની માલિકીની જમીનમાંથી રેતી ભરીને વાહનો લઈ જવા અંગે અગાઉ સામાજિક રીતે વાતચીત થઈ હોવા છતાં, આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ઝઘડો કર્યો હતો.
લાકડીઓ અને ગડદાપાટુથી બેરહેમ માર માર્યો
આરોપીઓએ ફરિયાદીને રસ્તો આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને ઉશ્કેરાઈને લાકડીઓ તેમજ ગડદાપાટુ વડે બેરહેમ માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં રામજીભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બન્યા બાદ સમાજમાં સમાધાનના પ્રયાસો અને વાતચીત ચાલતી હોવાને કારણે પોલીસ ફરિયાદ થોડી મોડી નોંધાઈ હતી.
આ ત્રણ શખ્સો સામે ગુનો દાખલ:
ખેડબ્રહ્મા પોલીસે આ મામલે ગુનો નોંધી નીચેના ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે: ૧. વાલજીભાઈ મોભીભાઈ રબારી (રહે. વાસણ ગામ) ૨. વિવેક દિનેશભાઈ રબારી (રહે. ધરોદ ગામ) ૩. સંજયભાઈ સત્તાનભાઈ રબારી (રહે. વડાલી)
પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


