ધોકડવાના કૂવામાંથી સિંહનો મૃતદેહ મળતા ચકચાર
ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામની સીમમાં વાડીના આશરે 60 ફૂટ ઊંડા કૂવામાંથી પાંચ વર્ષના નર સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.પ્રાથમિક અનુમાન મુજબ સિંહનું મોત બે દિવસ અગાઉ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કૂવા પર ત્રણ ફૂટની પેરાપેટ અને પ્લાસ્ટિકની નેટ હોવા છતાં સિંહ કૂવામાં કેવી રીતે પડ્યો તે અંગે સવાલો ઉઠ્યા છે.
વાડી માલિકના પુત્રને કૂવામાંથી દુર્ગંધ આવતા તપાસ કરતા સિંહનો મૃતદેહ નજરે પડ્યો હતો, ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વન વિભાગની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી મૃતદેહ બહાર કાઢી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.
સિંહ કૂવામાં કેવી રીતે પડ્યો અને બે દિવસ સુધી વન વિભાગને ઘટનાની જાણ કેમ ન થઈ? તેને લઈને વન વિભાગની પેટ્રોલિંગ અને મોનિટરિંગ કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા


