ખેડબ્રહ્મામાં વિશ્વ હિન્દુ પરિષદના નવા કાર્યાલય ‘કેશવ કુંજ’નો ભવ્ય શુભારંભ કરાયો
કેન્દ્રીય ધર્મપ્રસાર સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી અને સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો
હમ કરે રાષ્ટ્ર આરાધન…. તન સે… મન સે… ધન સે” પંક્તિને ચરિતાર્થ કરતા અને ભારત દેશને જગદ્ગુરુના સ્થાને વિરાજમાન કરવા અહોરાત્ર પરિશ્રમ કરતા કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોના સતત સંકલન માટે ખેડબ્રહ્મા ખાતે એક ભવ્ય કેન્દ્રસ્થાનનો પ્રારંભ થયો છે. દાનવીરો અને હિતચિંતકોની શુભનિષ્ઠાથી ખેડબ્રહ્મા જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના નવા કાર્યાલય “કેશવ કુંજ”નો શુભારંભ રવિવાર, તા. ૧૭-૦૫-૨૦૨૬ના રોજ અત્યંત મંગલમય વાતાવરણમાં કરવામાં આવ્યો હતો. ધાર્મિક વિધિ અને સત્યનારાયણ કથાનું આયોજન કરાયું

નવા કાર્યાલયના મંગલ પ્રારંભ નિમિત્તે બપોરે ૪:૩૦ કલાકે શાસ્ત્રોક્ત વિધિથી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ૬:૩૦ કલાકે કથાની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત સૌ ભક્તો અને કાર્યકર્તાઓએ મહાઆરતીનો લાભ લીધો હતો.
આ ભવ્ય શુભારંભ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ધર્મપ્રસાર સહમંત્રી મા.શ્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં રાષ્ટ્ર આરાધના અને સંગઠનની શક્તિ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં માણેકનાથ મંદિર-ખેડબ્રહ્માના પ.પૂ. શામળગીરી મહારાજશ્રીએ ઉપસ્થિત રહીને સૌ કાર્યકર્તાઓને આશીર્વચન પાઠવ્યા હતા.
આ ઉપરાંત વિશેષ અતિથિ તરીકે પ્રાંત મંત્રી મા.શ્રી નલિનભાઈ પટેલ તેમજ વિભાગ મંત્રી મા.શ્રી દિપેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનના કાર્યોને વધુ વેગવંતું બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
સ્થાનિક પદાધિકારીઓનો જહેમત
કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગને સફળ બનાવવા માટે જિલ્લા મંત્રી ચેતનભાઈ ધોળુ, જિલ્લા ઉપાધ્યક્ષ ભરતભાઈ પ્રજાપતિ, જિલ્લા સહમંત્રી અરૂણભાઈ પટેલ, પરેશભાઈ સોલંકી, માલજીભાઈ દેસાઈ તેમજ કૌશિકભાઈ રાવલ સહિતના સ્થાનિક પદાધિકારીઓ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
સિવિલ રોડ પર સિવિલના મુખ્ય દરવાજા સામે શરૂ થયેલા આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને ભગિનીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ઉપસ્થિત સૌ માટે ભોજન પ્રસાદનો સુંદર પ્રબંધ કરવામાં આવ્યો હતો.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


