વડાલી પાલિકામાં કોંગ્રેસમાં ભડકો.. ઉપપ્રમુખની વરણીમાં મેન્ડેન્ટ નો અનાદર
અયુબ નાગોરી ને 14 મત અને મેન્ડેન્ટ ધરાવતા ઇમરાન મેમણ ને 6 મત મળ્યા
વડાલી નગરપાલિકામાં આંતરિક વિવાદ વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ

તાજેતરમાં યોજાયેલી વડાલી પાલિકાની ચૂંટણીમાં જનતાએ પરિવર્તન તરફી મતદાન કરીને કોંગ્રેસને બહુમતી અપાવી હતી. પરંતુ સત્તાના સૂત્રો હાથમાં આવતાની સાથે જ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને બળવો સપાટી પર આવી ગયો છે. સોમવારે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં પક્ષના સત્તાવાર મેન્ડેટનો છેદ ઉડી ગયો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પ્રમુખ તરીકે સગર હંસાબેન અને ઉપપ્રમુખ તરીકે મેમણ ઇમરાનભાઈના નામે મેન્ડેટ જાહેર કર્યો હતો. જોકે ઉપપ્રમુખની રેસમાં પક્ષના નિર્ણય સામે બળવો પોકારી અયુબ નાગોરીએ પોતાની દાવેદારી નોંધાવતા અંતે મતદાન કરવાની ફરજ પડી હતી.
બળવાખોર ઉમેદવાર અયુબ નાગોરીને 14 સભ્યોના મત મળ્યા હતા. જ્યારે સત્તાવાર મેન્ડેટ ધરાવતા ઇમરાન મેમણને માત્ર 6 મત મળ્યા હતા. બહુમતી સભ્યોએ પક્ષના આદેશને ફગાવી અયુબ નાગોરીની તરફેણમાં મતદાન કરતાં તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
વડાલી પાલિકાના 6 વોર્ડની કુલ 24 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં પ્રજાએ શાસક પક્ષ ભાજપને ઘરભેગો કર્યો હતો. ભાજપને માત્ર 4 બેઠકો પર જીત મળી હતી, જ્યારે કોંગ્રેસે 20 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી. નગરજનોએ શુદ્ધ પીવાનું પાણી, બિસ્માર રસ્તા અને ડ્રેનેજ (ગટર) વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓથી ત્રસ્ત થઈ પરિવર્તન માટે કોંગ્રેસની આખી પેનલો જીતાડી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અમે જે આશા અને અપેક્ષા સાથે ભાજપને હરાવી કોંગ્રેસને સત્તા સોંપી હતી, તે આશા પર પાણી ફરી વળ્યું છે. હજુ તો બોર્ડની પહેલી બેઠક મળી ત્યાં જ જો આ લોકો અંદરોઅંદર લડતા હોય, તો આગામી પાંચ વર્ષમાં વડાલીના વિકાસના કામો કઈ રીતે થશે?
જિલ્લા પ્રમુખ રાજીનામું આપે તેવી માંગ કરાશે
પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને વોર્ડ નં-5 ના વિજેતા સભ્ય રાઠોડ અજીતસિંહે વહીવટી પ્રક્રિયા પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે નગરપાલિકાની સાધારણ સભામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં પક્ષ દ્વારા હંસાબેન સગર અને ઈમરાનભાઈ દાણીના નામે બે મેન્ડેટ જાહેર કર્યા હતા. જો કે, જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકીના સમર્થકોએ પક્ષ વિરોધી બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવીને અયુબભાઈ નાગોરીને 14 મતોથી જીતાડડ્યા છે. સમગ્ર ઘટનાક્રમ પાછળ જિલ્લા પ્રમુખની સાઠગાંઠ અને ખામીઓ જવાબદાર હોવાનો આક્ષેપ કરી તેમણે ઉમેર્યું હતું કે પક્ષના સત્તાવાર મેન્ડેટનો અનાદર કરનારા તમામ સભ્યોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને જિલ્લા પ્રમુખ રાજીનામું આપે તેવી માંગ સાથે પ્રદેશ પ્રમુખને લેખિત રજૂઆત કરાશે.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 