સાબરડેરીનો ઐતિહાસિક નિર્ણય…
૨૯ જૂને પશુપાલકોને ₹૫૬૦ કરોડની ભાવફેર રકમ ચૂકવાશે
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આશરે સાડા 3 લાખ પશુપાલકો માટે ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે. સાબરડેરી ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બોર્ડ મિટિંગમાં લેવાયેલા નિર્ણય અનુસાર, આગામી ૨૯ જૂનના રોજ બંને જિલ્લાના પશુપાલકોને ભાવફેરની રકમ ચૂકવવામાં આવશે.
સાબરડેરી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે દૂધનો વાર્ષિક સરેરાશ ભાવ ₹૧૦૦૭ પ્રતિ કિલો ફેટ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા ભાવ જાહેર થતાંની સાથે જ બંને જિલ્લાના પશુપાલકોને કુલ ₹૫૬૦ કરોડ રૂપિયાની માતબર ભાવફેર રકમ ચૂકવવાનું નક્કી કરાયું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સાધારણ સભા પહેલાં જ આ રકમ પશુપાલકોને ચૂકવીને સમયસર નાણાં આપવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે.
આ આખી પ્રક્રિયા અંતર્ગત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આશરે ૧૮૦૦ દૂધ સહકારી મંડળીઓ મારફતે ૨૯ જૂનના રોજ સીધા પશુપાલકોના બેંક ખાતામાં જ રકમ જમા કરાવી દેવામાં આવશે. સાબરડેરીના આ મધ્યમવર્ગીય અને ગ્રામીણ પક્ષના નિર્ણયથી પશુપાલકોને આર્થિક રીતે મોટી રાહત અને પ્રોત્સાહન મળશે, તેમજ ગ્રામીણ અર્થતંત્રને પણ જબરદસ્ત વેગ મળશે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


