ઉના કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: રૂ.25 લાખના ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની કેદ
ગીર સોમનાથના ઉનામાં રૂ.25 લાખના ચેક રિટર્ન કેસમાં અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ઉનાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા આરોપી રાજેશ મહેન્દ્રભાઈ જોષીને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે
.કેસની વિગતો મુજબ ફરિયાદી વિપુલકુમાર ઉમેશભાઈ જોષીએ આરોપીને અંગત ઉપયોગ માટે રૂ.25 લાખ હાથ-ઉછીના આપ્યા હતા. રકમની ચુકવણી પેટે આરોપીએ આપેલો ચેક બેંકમાં જમા કરાવતા **’ફંડ્સ ઈનસફિશિયન્ટ’**ના શેરા સાથે પરત ફર્યો હતો.કાયદેસરની નોટિસ આપવા છતાં રકમની ચુકવણી ન થતા ફરિયાદીએ ઉના કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આરોપી તરફથી ચેક સિક્યુરિટી પેટે આપ્યો હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો.
જોકે ફરિયાદી પક્ષના સિનિયર એડવોકેટ ભરત બી. સોલંકી તથા એડવોકેટ રવિ આર. સોલંકી, કર્મેશ બી. સોલંકી અને વી.પી. ડાંગોદરાની ટીમે સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓના આધારે ધારદાર દલીલો રજૂ કરી હતી.બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ જજ જે.કે. ખાંટ દ્વારા તા. 17 ઓગસ્ટ 2026ના રોજ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો.કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ ઉપરાંત ફરિયાદીને રૂ.25 લાખનું વળતર 2 મહિનામાં ચૂકવવાનો હુકમ કર્યો છે. જો વળતર ચૂકવવામાં નહીં આવે તો વધુ 6 મહિનાની સજા ભોગવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા


