પાલનપુર-અમદાવાદ હાઈવે પર ડૉ. પ્રવીણ તોગડિયાની ગાડીનું ટાયર ફાટ્યું, મોટી દુર્ઘટના ટળી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા પાલનપુરથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે મહેસાણા જિલ્લામાં નંદાસણ નજીક તેમની બુલેટપ્રૂફ સ્કોર્પિયો ગાડીનું ટાયર અચાનક ફાટી જતાં એક મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડૉ. તોગડિયા પોતાના સુરક્ષા કાફલા સાથે પાલનપુરથી અમદાવાદ તરફ પ્રવાસ કરી રહ્યા હતા. તેમનો કાફલો જ્યારે નંદાસણ નજીક પહોંચ્યો, ત્યારે તેમની બુલેટપ્રૂફ ગાડીનું ટાયર ફાટ્યું હતું. સદનસીબે, ડ્રાઈવરની કુશળતા અને સલામત ડ્રાઈવિંગને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી. આ ઘટનામાં ડૉ. પ્રવીણ તોગડિયા સંપૂર્ણપણે સલામત રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ નંદાસણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. પોલીસે ડૉ. તોગડિયાની ગાડીને સુરક્ષા પૂરી પાડી હતી. ટાયર ફાટ્યા બાદ, ડૉ. પ્રવીણ તોગડિયાને તેમના કાફલાની બીજી ગાડી (એસ્કોર્ટ ગાડી)માં બેસાડીને સુરક્ષિત રીતે અમદાવાદ રવાના કરવામાં આવ્યા હતા. અહેવાલ = અલ્તાફ મેમણ પાલનપુર


