પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા પાટણમાં ભેળસેળ વિરોધી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
તા. 21 નવેમ્બરના રોજ LCB અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર, પાટણની ટીમે સંયુક્ત રીતે માવજત ફૂડ પ્રોડક્ટ્સ (માવજત ફૂડ પ્રોડક્ટ્સ ) પર દરોડો પાડ્યો હતો. આ પેઢીના પ્રોપ્રાયટર મોદી પ્રકાશકુમાર વ્રજલાલ છે અને તે રૉયલ બિઝનેસ પાર્ક , હાઇવે રોડ , મંદોત્રી રોડ , પાટણ ખાતે ગોડાઉન નંબર 11 અને J-17 માં સ્થિત છે. તપાસ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
તપાસમાં 1,576.88 કિલો ઘી અને 3,245 કિલો ભેળસેળયુક્ત તેલ મળી આવ્યું હતું, જેનો કુલ જથ્થો 4,821 કિલો થાય છે. જેની કુલ કિંમત ₹11,87,272 આંકવામાં આવી છે. આ પગલું જનસ્વાસ્થ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ મનાય છે.શંકાસ્પદ જણાતા, અધિકારીઓએ આ સમગ્ર જથ્થો સીઝ કર્યો હતો.
કાર્યવાહી દરમિયાન ઘી અને તેલના કુલ 10 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં તેલના 5 અને ઘીના 5 નમૂનાઓનો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બ્યુરો રિપોર્ટ ઇમરાન મેમણ પાટણ


