તલોદ ખાતે સાબરકાંઠા-અરવલ્લી રબારી સમાજનો સ્નેહમિલન-સન્માન સમારંભ યોજાયો
‘કુરિવાજો છોડીને શિક્ષણ થકી સમાજ’ ને વધુને વધુ સમૃદ્ધ બનાવવા રબારી સમાજ સંકલ્પ કરે તે જરૂરી’- કાશીધામ કાહવાના સમાજ સુધારક શ્રી રાજાબાપા
દાતાશ્રીઓ દ્વારા આ કાર્યક્રમમાં સ્ટડી સેન્ટર માટે રૂ.૧૪ લાખથી વધુનું દાન અપાયું

‘કુરિવાજો છોડીને શિક્ષણ થકી સમાજ’ને વધુને વધુ સમૃદ્ધ બનાવવા રબારી સમાજના આગેવાનો,ભાઈ અને બહેનો સંકલ્પ કરે તે સમયની માંગ છે.
સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસન છોડવાની સાથેસાથે શિક્ષણ દ્વારા જ કોઈ પણ સમાજનો સર્વાંગી વિકાસ શક્ય છે.આજથી સાબરકાંઠા-અરવલ્લી રબારી સમાજમાં સુધારા-બંધારા માટેના નવીન સામાજિક બંધારણના અમલીકરણ માટે સૌને આહ્વાન કરીને નવા વર્ષે આશીર્વચન આપતાં કાશીધામ કાહવાના સમાજ સુધારક ભુવાજી શ્રી રાજાબાપાએ જણાવ્યું હતું.

વડવાળા દૂધરેજ મંદિરના પૂ.૧૦૦૮ શ્રી કનીરામદાસ બાપુએ આપણી ભાવી પેઢીના કલ્યાણ માટે એટલે કે રબારી સમાજમાં કુરિવાજો બંધ થાય,ખોટા ખર્ચા બંધ થાય,ખોટી દેખા દેખી તેમજ વ્યસન બંધ થાય તેના માટે આજે સામાજિક બંધારણના પાલનની પહેલ કરી છે તેમાં સહભાગી થવા બદલ સમાજના સૌ ભુવાજીઓ,આગેવાનો અને વડીલોને શુભેચ્છાઓ પાઠવીને આશીર્વાદ આપ્યા હતા. સમાજમાં દીકરા-દીકરીઓને વધુને વધુ શિક્ષિત બનાવીને તમામ સમાજ સાથે એકતાનો
ભાવ રાખવા શ્રી કનીરામ બાપુએ આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો તેમજ માતા-પિતાને અપીલ કરી હતી.

વડાવાળા મંદિર ઝાકના પૂ.૧૦૦૮ મહંત શ્રી ગણેશદાસ બાપુએ નવા વર્ષ નિમિત્તે આશીર્વચન આપીને સૌને સામાજિક સુધારણા- બંધારણમાં પોતાનું મહત્તમ પાલન કરીને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સમાજ એકતા અને કલ્યાણ માટે અનુરોધ કર્યો હતો. સમાજ સુધારણા માટેની આ નવીન પહેલ બદલ સાબરકાંઠા- અરવલ્લી સમાજના આગેવાનોનો શ્રી બાપુએ અભિનંદન પાઠવ્યા હતા.
નૂતન વર્ષ નિમિત્તે આજે રબારી સમાજ સ્ટડી સેન્ટર,તલોદ ખાતે સાબરકાંઠા-અરવલ્લી રબારી સમાજનો સ્નેહમિલન તેમજ સન્માન સમારંભ યોજાયો હતો.
સાબરકાંઠા-અરવલ્લી રબારી સમાજમાં સુધારા-બંધારા માટેના નવીન સામાજિક બંધારણનો આગામી દેવ દિવાળીથી અમલ થાય તે માટે સૌએ આ સમયે પ્રતિજ્ઞા લીધી હતી.
દાતાશ્રીઓ દ્વારા આ કાર્યક્રમમાં તલોદ સ્ટડી સેન્ટર માટે રૂ.૧૪ લાખથી વધુનું દાન આપીને અન્યને સમાજ કાર્ય માટે પ્રેરણા આપી હતી.
‘સમાજ સેવા એજ પ્રભુ સેવા’ના ધ્યેય સાથે બપોરે ૧૨-૦૦ કલાકે યોજાયેલા આ સ્નેહમિલન સમારંભમાં વાળીનાથ મંદિર -તરભના કોઠારી શ્રી દશરથગીરી મહારાજ,વિવિધ મહંતશ્રીઓ સહિત રબારી સમાજના
ભુવાજીઓ,સમાજસેવકો, સમાજ સુધારકો,સમૂહ લગ્નનો પ્રોત્સાહન આપનાર,દાતાશ્રીઓ,આગેવાનો, સરકારમાં સેવારત ઉચ્ચ અધિકારી સહિત રબારી સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રબારી સમાજનું ગૌરવ સમાન ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ અને
શિક્ષણવિદ અને સમાજ સુધારક પ્રો.અવનીબેન આલે સમાજમાં ચાલતા કુરિવાજો અને તેના સુધારણા અંગે અનેક ઉદાહરણો આપીને તેમાં બદલાવની પહેલ કરવા ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું.
આ વેળાએ સમાજના નિવૃત્ત અધિકારીઓએ સરકારી સેવામાં આપેલી સેવાઓ,રબારી સમાજ દ્વારા વિવિધ શહેરોમાં ચાલતા સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગો એટલે કે રબારી સમાજ સ્ટડી સેન્ટર- રેકટની શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે તેનો યુવાઓને
મહત્તમ લાભ લેવા તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ કેવી રીતે લઈ શકાય તેની વિગતવાર માહિતી ઉપસ્થિત મહાનુભાવોએ આપી હતી.
આ પ્રસંગે સમાજ સુધારક સ્વ. જીવણભાઈ રબારીના પરિવારજનોનું,
સરપંચશ્રીઓ,ભુવાજીઓ,નિવૃત્ત સચિવ શ્રી કે. ડી. દેસાઈ, દાતાશ્રીઓ તેમજ નોકરિયાતોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમ,રબારી સમાજ સ્ટડી સેન્ટર, તલોદના સંયોજકશ્રી વાસુદેવભાઇ રબારીએ જણાવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 143511
Views Today : 