બનાસકાંઠામાં વૃદ્ધનું અપહરણ કરી ઢોરમાર માર્યો:
11 આરોપીઓ સામે ગુનો, 3ની અટકાયત; કોર્ટે રિમાન્ડ નકાર્યા
બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ પહેલા એક વૃદ્ધના અપહરણ અને મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે થરા પોલીસ સ્ટેશનમાં 11 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ત્રણ મુખ્ય આરોપીઓની અટકાયત કરી છે, જોકે કોર્ટે તેમના રિમાન્ડ નામંજૂર કર્યા છે.

ફરિયાદ મુજબ, પાટણના સમી તાલુકાના દાદર ગામના ખેડૂત અને સામાજિક આગેવાન અજમલભાઈ પાનાભાઈ ચૌધરીનું 11 શખ્સોએ અપહરણ કર્યું હતું. તેમને છરીની અણીએ દેવ દરબાર મઠમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હતો અને વીડિયો ઉતારવામાં આવ્યો હતો. વીડિયોમાં વૃદ્ધ હાથ જોડી માફી માંગતા અને તેમને વારાફરતી લાફા મારવામાં આવતા જોવા મળ્યા હતા.
થરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, આ અપહરણ અને મારપીટ કેસમાં કુલ 11 શખ્સો સામે ગુનો નોંધાયો છે. ગુરુવારે દિગુભા ગજેન્દ્રસિંહ વાઘેલા, સુનિલસિંહ વજુભા વાઘેલા અને વિષ્ણુજી લાલાજી ઠાકોરની અટકાયત કરવામાં આવી હતી. શુક્રવારે ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. પોલીસે તમામ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તે નામંજૂર કર્યા હતા.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ અગાઉ ગોવિંદપુરી બાપજીના અપમાનનું મનદુઃખ રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. અગાઉ સુભાપુરા ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન દેવ દરબારના બળદેવનાથજી અને સમાજના ગોવિંદપુરી બાવા વચ્ચે જાહેરમાં બોલાચાલી અને અપમાનની ઘટના બની હતી. ત્યારબાદ યોજાયેલી સમાજની બેઠકમાં અજમલભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા. આ જ ઘટનાની અદાવત રાખીને આરોપીઓએ આયોજનબદ્ધ રીતે રેકી કરી તેમનું અપહરણ કરી ત્રાસ ગુજાર્યો હતો.
રીપોર્ટ પરબત દેસાઈ પાલનપુર


